

શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ
આજે હું મારો પરિચય એક ભાગ્યશાળી પુત્ર તરીકે આપું છું, વક્તા તરીકે નહિ. એ પુત્ર ભાગ્યશાળી છે જેને માત્ર પિતા જ નહિ,
પરંતુ ગુરુ સ્વરૂપ પિતાશ્રી મળ્યા — શાસ્ત્રીજી ગુલાબભાઈ ભટ્ટ,
અને કરુણામય માતૃશ્રી જાગૃતિબેન ભટ્ટ, જેમણે પ્રેમ, સંભાળ અને સહયોગમાં આખી જિંદગી વિતાવી.
ગુરુત્વનો પ્રથમ અનુભવ
ઘણા લોકો પૂછે છે — “આ ગુરુત્વનો પ્રથમ અનુભવ ક્યારે થયો?”
તો એ દિવસ હતો જ્યારથી કથાજગતમાં મારું પ્રથમ પગલું પડ્યું.
મને આજે પણ એ પ્રસંગ યાદ છે —જામજોધપુરની ભાગવત કથા દરમિયાન,
સવારના બરાબર ૮ વાગ્યા હતા. એ સમયે પિતાશ્રીએ ગંભીર સ્વરે કહ્યું —
બેટા, આજે તારે વ્યાસપીઠ પર બેસવું છે.
હું થોડીવાર સ્તબ્ધ થઈ ગયો — વિચાર્યું કદાચ મજાક હશે. પરંતુ એ મજાક ન હતો;
પિતાશ્રી એ જ ગંભીરતાથી પુસ્તક મારી હાથે આપ્યું અને કહ્યું —
“આ મારી બુક લઈ બેસી જા, આજે ‘ઉદ્ધવ ચરિત્ર’ લેવાનું છે.”
તે ક્ષણે ખબર નહિ કયું પરમતત્વ કાર્યરત થયું — મારા મોઢેથી સ્વાભાવિક “હા” નીકળી ગઈ.
કોઈ તૈયારી નહિ, કોઈ લખાણ નહિ — માત્ર વર્ષોનું પિતાશ્રીની કથાનું શ્રવણ.
જયારે કથા શરૂ કરી, એ કરુણ પ્રસંગ એટલો ભાવથી રજૂ થયો
કે હું પોતે પણ ભાવવિભોર થઈ ગયો, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.
વ્યાસ પરંપરાનો અનુભવ
એ ક્ષણે મને સમજાયું —
વ્યાસપીઠ માત્ર બેઠક નથી, એ એક દિવ્ય પરંપરા છે.
પિતાશ્રી વારંવાર કહેતા —
“અમે વ્યાસ પરંપરામાંથી આવીએ છીએ,
આપણું ગોત્ર પરાશર છે —
એ જ પરાશરના પુત્ર ભગવાન વ્યાસ,
અને એ જ વ્યાસના પુત્ર શુકદેવજી.”
એ દિવસે હું સમજી ગયો કે
હું માત્ર શબ્દનો વારસદાર નથી,
પણ વાણી અને શ્રદ્ધાનો રક્ષક છું.


સંકલ્પ – ભાગવત સેવા માટેનું સમર્પણ
એ જ અનુભૂતિ બાદ મેં નક્કી કર્યું —
મારું આખું જીવન વ્યાસપીઠની સેવામાં સમર્પિત કરી દઈશ.
તે દિવસથી કથાજગતમાં મારી યાત્રા શરૂ થઈ.
પિતાશ્રીની છત્રછાયામાં તૈયારી ચાલુ રહી, અને ૨૦૦૮માં, લગ્નગ્રંથિ પછી,
મારી પ્રથમ કથા જામખંભાળિયા મુકામે સફળતાપૂર્વક યોજાઈ.
આ કથા સફળ બનાવવા મારા સસરાજી એ પણ વિશેષ પુરુષાર્થ કર્યો,
જેના આશીર્વાદથી યાત્રા વધુ શક્તિશાળી બની.
તે દિવસથી આજ સુધી,
દેશ–વિદેશમાં ૧૫૨થી વધુ ભાગવત કથાઓ યોજાઈ ચૂકી છે.
દરેક કથા એક નવી ભાવયાત્રા છે —
જ્યાં ભક્તિ, જ્ઞાન અને પ્રેમ એકરૂપ થાય છે.


.png)